આજે સવારે ઉઠી મોબાઈલ દેવના દર્શન કરવા વોટ્સએપના દ્વાર ખોલ્યા. સુંદર મજાનો એક સંદેશો હતો, જે નીચે મુજબ અનુવાદિત છે:
સરપંચે સ્ટેજ પર ઉભા રહી કહ્યું, “જો કોઈને આ લગ્ન સામે વાંધો હોય તો હમણાં જ કહી દે.લગ્ન બાદ કોઈ પ્રશ્ન ઉભો થાય તો બે જિંદગીનો સવાલ છે. જે કોઈએ કશું પણ કહેવું હોય તે સામે આવીને કહે…”
એ વખતે જાનૈયાઓ પાછળ ઉભેલી એક સુંદર સ્ત્રી પોતાની કેડમાં એક બાળક લઇ આગળ આવી.
આખા મંડપમાં ગુસપુસ ચાલુ થઇ ગઈ.
સ્ટેજ પર ઉભેલી પરણનાર કન્યા (દુલ્હન) એ વરરાજાને એક તમાચો મારી દીધો.
પરણનાર કન્યાનો બાપ બંદૂક લેવા દોડી ગયો.
પરણનાર કન્યાની માતા બેભાન થઇ પડી ગઈ.
ત્યારે સરપંચે પેલી સ્ત્રીને પૂછ્યું, “તમને શું વાંધો છે?”
એ સ્ત્રીએ કહ્યું કે, “પાછળ બરાબર સંભળાતું ના હતું એટલે આગળ આવી છું”.
આ આપણી માનસિકતા છતી કરતી ટૂંકી વાર્તા છે. પણ એ આપણા સમાજની વાસ્તવિકતાના દર્શન કરાવે છે. સર્વત્ર મૂર્ખતા વ્યાપેલી છે. હકીકત જાણ્યા વગર, કલ્પના કરીને પોતે વિચારેલ વસ્તુને વાસ્તવિકતા માનનારા અનેક મુર્ખાઓ બધે જ બિરાજમાન છે.
થોડા વખત પહેલા મારી સાથે પણ આવું જ બન્યું. તમે કેમ કોની સાથે વર્તો છો, એ અંગે જાતે જ તર્ક-કુતર્ક વિચારી તમારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા તૈયાર થઇ જતા મુર્ખાઓની આ દુનિયામાં કમી નથી. સત્ય સાંભળવાની જેનામાં હિંમત નથી એવા લોકો “માનેલા સત્ય”નું રોજબરોજ ઉત્પાદન કરે છે અને નિર્દોષ લોકોને હેરાન-પરેશાન કરે છે.
વાર્તામાં બિચારા નિર્દોષ વરરાજાને, પેલી પરણનાર કન્યાએ વાંક-ગુનો જાણ્યા વગર જ તમાચો માર્યો, અને કન્યાનો બાપ એ વરરાજાને મારી નાંખવા માટે બંદૂક લેવા ગયો. શું વાંક હતો એ વરરાજાનો?
મારી સાથે પણ એવું જ બન્યું છે, કોઈપણ વાંકગુના વગર મને સજા કરવામાં કેટલાક લોકોને મજા આવે છે, તેઓ મને શિક્ષા કરે છે, મારો ઉધડો લે છે, અને એમને કલ્પેલી મારી ભૂલો બતાવે છે. અરે કેટલાક લોકો તો અન્યોને ફોન કરી કહે છે કે અમે એનો બોયકોટ કરીશું. પણ ક્યારેય તમે ભગવાન બનવાની ભૂલ ના કરશો! આ સંસારમાં કાલે શું બનશે તે કોઈ નથી જાણતું. ધન-સંપત્તિ હોય પણ સત્ય અને સંસ્કાર ના હોય તો બધું નકામું છે.
હંમેશા સચ્ચાઈ પેલી કેડમાં બાળક લઇ આગળ આવેલ સ્ત્રી જેવુ છે, જેને ના તો પરણનાર કન્યા કે વરરાજાના ભૂતકાળ સાથે કોઈ સંબંધ હોય.
જો હું સત્ય બનીશ કે ઉચ્ચારીશ તો અનર્થ થઇ જશે.
જાણ્યા વગર મૂર્ખ બની પગલાં ના ભરો. અને બીજું, આ દુનિયામાં ભગવાન અંતિમ સત્ય છે. વીતરાગ એટલે રાગ-દ્વેષ વિહીન. અને જે જૈન છે, એને તમારી ટીકાથી કે તમારી સજાઓથી કોઈ ફરક પડતો નથી. ભગવાન મહાવીરને પણ વગર ગુને કાનમાં ખીલા નાખવામાં આવ્યા હતા. તમારા સામાયિક-પ્રતિક્રમણો ધૂળમાં ગયા, જ્યારે તમારા હૃદયમાં ખોટા ભાવ છે.
“A lie can travel halfway around the world while the truth is putting on its shoes.” ― Mark Twain
અસત્ય અને અફવાઓ અડધી દુનિયામાં ફરી વળે છે, ત્યારે તો સત્ય પોતાના બુટની દોરી બાંધતું હોય છે.
આપની સવાર મંગલમય રહો. આપ સતર્ક રહો. તમારી બુદ્ધિ-શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો અને સત્ય જાણ્યા વગર અનુમાન ના કરશો. સત્યને તૈયાર થઇ આવતા વાર લાગે છે, રાહ જુઓ. સત્ય આવશે, જરૂર આવશે, તે બુટની દોરી બાંધી રહ્યું છે.
મને વર્ડપ્રેસ પર પણ વાંચતા રહેશો. તટસ્થપણે આ લેખને મુલવજો. ચોવીસ કેરેટની વાત છે.
- જયેશ નીલમ શાહ